વીજ બીલ માફી યોજનાની મુદ્દત વધી, લાઈટ બીલ 50 ટકા અને વ્યાજ સંપૂર્ણ માફ

0
148
news/MGUJ-AHM-HMU-LCL-gujarat-government-extend-a-electricity-bill-waiver-programme-to-31st-december-gujarati-news
news/MGUJ-AHM-HMU-LCL-gujarat-government-extend-a-electricity-bill-waiver-programme-to-31st-december-gujarati-news

આજે રાજ્ય સરકાર દ્વારા કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણોની લેણી નીકળતી રકમ ભરપાઇ કરવાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે વીજ જોડાણોની લેણી નીકળતી માફી યોજના 31 ડિસેમ્બર-2018 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત કપાયેલા વીજ જોડાણોમાં વીજ બીલના 50 ટકા રૂપિયા અને વ્યાજની સંપૂર્ણ માફી આપવામાં આવે છે. આ યોજનાનો 30 સપ્ટેમ્બર સુધીમાં 1 લાખ 36 હજાર ગ્રાહકોએ લાભ લીધો છે. જેને કારણે વીજ વિતરણ કંપનીઓને 51.88 કરોડની વસુલાત થઈ છે.

1 ઓકટોબર-2018થી 31 ડિસેમ્બર-2018 સુધી લંબાવવાનો નિર્ણય

ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીના આ નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજ જોડાણોમાં ઘર વપરાશના બી.પી.એલ. અને નોન બી.પી.એલ વીજ ગ્રાહકો તેમજ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બીલની રકમના 5૦ ટકા અને વ્યાજમાં સંપૂર્ણ માફી માટે એમ્નેસ્ટી સ્કીમ-2017 અગાઉ જાહેર કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ ઉપરાંત બીન ગ્રાહકો, વાણિજ્યિક, ઔદ્યોગિક અને વોટર વર્કસના વીજ ગ્રાહકો અને બીન ગ્રાહકો તથા સ્ટ્રીટ લાઇટ અને જનરલ પર્પઝ લાઇટ ટેરિફ ધરાવતા વીજ ગ્રાહકો માટે વ્યાજમાં સંપૂર્ણ માફીને પણ આ સ્કીમમાં આવરી લીધા હતા. મંત્રીઓએ જણાવ્યું કે, રાજ્યમાં આ યોજનાને મળી રહેલા વ્યાપક પ્રતિસાદને પરિણામે, મુખ્યમંત્રીએ ગ્રાહક સંવેદના સ્પર્શી અભિગમ સાથે આ યોજનાની મુદ્દત વધુ ત્રણ માસ માટે એટલે કે 1 ઓકટોબર-2018થી 31 ડિસેમ્બર-2018 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

3 માસની અંદર મુદ્દલ રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં 50 ટકા માફી

ઉર્જા મંત્રી સૌરભ પટેલે ઉમેર્યુ કે, રાજ્યની વીજ વિતરણ કંપનીઓના જુદા જુદા ગ્રાહકો પાસે વીજ બીલના નાણાં બાકી રહેવાના કારણે કે અન્ય કારણોસર જેમના વીજ જોડાણો તા.31-8-2017 સુધીમાં કાયમી ધોરણે બંધ થયેલા હોય તેવા ગ્રાહકો માટે મુખ્યમંત્રીએ માફી યોજના 2017 જાહેર કરી હતી. તેમજ ઘર વપરાશના વીજગ્રાહકો-બી.પી.એલ. અને નોન બી.પી.એલ એમ બન્ને જો 3 માસની અંદર મુદ્દલ રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં 50 ટકા માફી સાથે સંપૂર્ણ વ્યાજ માફી આપવામાં આવે છે. તે જ પ્રમાણે ખેતીવાડી ગ્રાહકોને પણ આ લાભ આપવામાં આવે છે. આ સિવાય અન્ય તમામ કક્ષાના વીજ ગ્રાહકો જો 3 માસમાં મુ્દ્દલની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજમાંથી પૂરેપૂરી માફી આપવામાં આવે છે.

1 લાખ 36 હજાર 294 ગ્રાહકોએ યોજનાનો લાભ મેળવ્યો

આ યોજના હેઠળ અગાઉની તા.31-8-2017 સુધીમાં કાયમી ધોરણે રદ થયેલ વીજ જોડાણોના સ્થાને તા.31-5-2018 સુધીમાં કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકોને લાભ અને યોજનાની મુદ્દત તા.24-7-2018ના રોજ પૂર્ણ થતી હતી, તેને તા.30-9-2018 સુધી વધારવામાં આવી હતી. તેમણે કહ્યું કે, 30- સપ્ટેમ્બર-2018 સુધી આ યોજનાની મુદ્દતમાં વધારો થવાને પરિણામે 1 લાખ 36 હજાર 294 ગ્રાહકોએ યોજનાનો લાભ મેળવ્યો છે. માત્ર

એટલું જ નહિ, વીજ વિતરણ કંપનીઓને રૂ. 51.88 કરોડની રકમની વસુલાત પણ આ યોજના અન્વયે થઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 396 માફી મેળાઓ યોજીને વીજ બિલની રીકવરીનું પ્રમાણ વધારવા અને ડિફોલ્ટરોની સંખ્યા ઘટાડવામાં ઊર્જા વિભાગને સફળતા મળી છે.